આરટીઈ પ્રવેશના બીજા રાઉન્ડને ચૂંટણીની બ્રેક
૭ મે ના મતદાન સંપન્ન થયા બાદ રાજ્યકક્ષાએથી તારીખ જાહેર થાય તેવી શક્યતા : બીજા રાઉન્ડ પૂર્વે પ્રથમ રાઉન્ડમાં ખાલી પડેલી બેઠકો માટે પુનઃ પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે ત્યારબાદ પ્રવેશ ફાળવાશે
ભુજ : રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળાઓમાં રપ ટકા બેઠકો પર ગરીબ તેમજ પછાત વર્ગના બાળકોને દર વર્ષે નવા શૈક્ષણીક વર્ષના પ્રારંભ પૂર્વે પ્રવેશ આપવામાં આવતો હોય છે. ચાલુ વર્ષે સમગ્ર રાજ્યની સાથોસાથ કચ્છમાં પણ ગત એટલે કે એપ્રિલ માસમાં જ સંપન્ન કરી લેવામાં આવી હતી. મેના પ્રારંભે બીજા રાઉન્ડની પ્રક્રિયા જાહેર થશે તેવી શકયતાઓ સેવાઈ રહી હતી. જો કે લોકસભા ચૂંટણીને પગલે આગામી ૭મીએ કચ્છ સહિત ગુજરાતમાં મતદાન યોજાવાનું છે. મતદાન પૂર્ણ થયા બાદ બીજો રાઉન્ડ જાહેર થાય તેવી શક્યતાઓ છે. જો કે બીજા રાઉન્ડ પૂર્વે પ્રથમ રાઉન્ડમાં ખાલી પડેલી બેઠકો માટે પુનઃ પસંદગીની પ્રક્રિયા યોજવામાં આવી શકે તેમ છે.
આ અંગેની વિગતો મુજબ આરટીઈમાં પ્રવેશ શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કચ્છ સહિત રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓની ૨૫ ટકા પ્રમાણે ધો.૧માં પ્રવેશ ફાળવવા માટે ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. જેમાં ચાલુ વર્ષે કચ્છમાં પ્રથમ રાઉન્ડમાં કુલ્લ ૧૧ર૩ એડમીશન થયા હતા. જેમાં ૧૩ ફોર્મ રીજેક્ટ થયા હતા. જયારે ૮૦ ફોર્મ પેન્ડીંગ રહ્યા છે. કચ્છમાં કુલ્લ ૧૦૩૦ વાલીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા હતા. ફોર્મ ભરવા અને ચકાસણીની કાર્યવાહી ૫ૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓની પસંદગી અને ૬ કિ.મી.ની ત્રિજ્યાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઈને પ્રથમ રાઉન્ડમાં ૧૦૩૦ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. જ્યારે પ્રથમ રાઉન્ડની ફાળવણીના અંતે ૩૧૭૦ જગ્યાઓ પસંદગીના અભાવે ખાલી રહેવા પામી હતી. દર વર્ષે સામાન્ય રીતે પ્રથમ રાઉન્ડ સંપન્ન થયા બાદ એક પખવાડિયાની અંદર બીજો રાઉન્ડ જાહેર થઈ જતો હોય છે. જો કે આ વખતે લોકસભા ચૂંટણી હોઈ ૭મીએ યોજાનારા મતદાનને પગલે તમામ તંત્રના અધિકારી - કર્મચારીઓ તેમાં વ્યસ્ત રહેવાના હોઈ મતદાન બાદ એટલે કે, ૭મે બાદ આરટીઈ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા જાહેર કરવામાં આવે તેવું મનાઈ રહ્યું છે. બીજો રાઉન્ડ જાહેર થાય તે પૂર્વે પ્રથમ રાઉન્ડમાં ખાલી રહી ગયેલી બેઠકો માટે પુનઃ પસંદગીની પ્રક્રિયાની એક તક આપવામાં આવે તેવી પણ શક્યતા સેવાઈ
રહી છે.
Comments